શનિવાર, 24 ઑક્ટોબર, 2015

સંબંધો: યુએસ-ભારત, યુએસ-પાકિસ્તાન

પાકિસ્તાને તેના પરમાણુ શસ્ત્રો પર કાતર મૂકવાની, પ્રવર્તમાન પરમાણુ મથકો આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ લાવવાની અને નો ફર્સ્ટ યુઝ કરાર પર સહી કરવાની જરૃર

૧૯૮૩માં વિયેનામાં ઇન્ટનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઇએઇએ)ની બેઠક મળી હતી. જેમાં ભારતના પરમાણુ પંચના અધ્યક્ષ ડો. રાજા રમન્નાએ આપણું પ્રતિનિધિત્વ કર્યું હતું. (જેવી રીતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે આપણે હૃદયમાં બેસાડયા છે એમ ભારત માટે પરમાણું બોમ્બ બનાવનારા ડો. રાજા રમન્નાને પણ ઘરે-ઘરે યાદ કરાય એ જરૃરી છે.) વિયેનામાં જ એક સાંજે પાકિસ્તાન ન્યુક્લિયર કમિશનના પૂર્વ અધ્યક્ષ અહમદ મુનિર ખાનને પાકિસ્તાનના ભૂતપૂર્વ એમ્બેસેડર અબ્દુલ સત્તાર તરફથી કોડેડ મેસેજ મળ્યો. જેનો અર્થ હતો : 'ભારત પાકિસ્તાનના પરમાણું મથક પર હુમલો કરવાનું છે. ' મુનિર ખાને રાજા રમન્નાને ડિનર માટે આમંત્રિત કર્યા.
સૌજન્ય અનુસાર થોડી વાર સુધી મધમીઠી વાતો ચાલી. ત્યાર પછી ખાને સ્પષ્ટ ધમકી ઉચ્ચારી : 'જો ભારત અમારા પરમાણુ મથક પર હુમલો કરશે તો અમે મુંબઇમાં ભાભા એટમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી) પર અટેક કરીશું.'

રમન્નાએ તરત જ એ વખતના વડા પ્રધાન ઇન્દીરા ગાંધીને જાણ કરી હુમલો અટકાવી દીધો. ત્યાર પછી ખાને સીઆઇએને ખબર આપતા અમેરિકાના ગૃહ વિભાગે ભારતને ધમકી આપી હતી : 'જો ભારત પાકિસ્તાનમાં કંઇ કરશે તો અમેરિકા વળતો જવાબ આપશે.'

એ સમયે જો ભારતે પાકિસ્તાનનું પરમાણું મથક ઉડાવી દીધું હોત તો પાકિસ્તાન પાસે અત્યારે જે પરમાણુ શસ્ત્રોનો ખજાનો છે એ ન હોત. આજે ચીનની કૃપાથી પાકિસ્તાન પાસે ૧૨૦થી વધુ પરમાણુ બોમ્બ છે, જે ભારત કરતા પણ વધારે છે. પાકિસ્તાનનો શસ્ત્રાગાર એ પરોક્ષ રીતે ચીનનો જ શસ્ત્ર ભંડાર કહેવાય છે.

૧૯૭૧ના યુદ્ધ વખતે અમેરિકા ભારત પર હુમલો કરવા માટે નૌસેના મોકલવાનું હતું. એ સમયે રશિયાના પ્રમુખ લિયોનીડ બ્રેઝનેવે નૌકા કાફલો સ્ટેન્ડ ટુ રાખતા નિક્સનની મનની મનમાં રહી ગઈ હતી. દુનિયામાં કશું જ કાયમ નથી. ત્યારે ભારત રશિયા તરફી હતું અને પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં હતું. આજે સમીકરણો બદલાઇ ગયા છે. છેલ્લા ચાર વર્ષમાં વૈશ્વિક ચોકઠામાં ધરખમ ફેરફાર આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં રશિયાનો ફરીથી ઉદય થતા વળી પાછા બે ધુ્રવો રચાઇ રહ્યા છે. ૨૦૧૧માં પાકિસ્તાનની જાણ બહાર અમેરિકાના નેવી સીલ કમાન્ડોએ ઓપરેશન 'નેપ્ચ્યુન સ્પીઅર' હાથ ધરી ઓસામા બીન લાદેનને હણી નાખ્યો એવે ટાણે પાક-યુએસના સંબંધો ઓલ ટાઇમ લો જતા રહ્યા હતા. નેવી સીલ કમાન્ડોનું આગમન પાકિસ્તાની સૈન્યના રડારમાં ઝીલાય નહીં તે માટે તેમણે સ્ટીલ્થ હેલિકોપ્ટર 'બ્લેક હોક'નો ઉપયોગ કર્યો હતો.
આ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ તેમણે તેને ત્યાં જ તોડી પાડયું હતું. પાકિસ્તાને એ હેલિકોપ્ટરનો કાટમાળ અભ્યાસ માટે ચીનને આપ્યો તે એક આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વળાંક હતો.

અમેરિકાએ આતંકીઓ પર કરેલા એક હવાઇ હુમલામાં પાકિસ્તાનના ૨૪ સૈનિકો મરી જતા બંને દેશોના સંબંધો વધુ ખરાબ થયા હતા. અમેરિકાએ પાકિસ્તાનનો સલાલા એરબેઝ ખાલી કરવો પડયો હતો અને પાકિસ્તાને નાટોને અફઘાનિસ્તાન માલ-સામાન પહોંચાડવા માટેનો એક માત્ર રસ્તો બંધ કરી દીધો હતો. ઘણા સમય બાદ તત્કાલીન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને માફી માગ્યા પછી ઠેઠ પાકિસ્તાને એ માર્ગ ફરીથી મોકળો કર્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શાંતિ વાર્તાલાપ પણ એમ જ લંગડાતો-ખોડંગાતો રહ્યો છે. ૨૦૦૮ પછી બંને રાષ્ટ્રો વચ્ચે અવિશ્વાસનો ટેકરો હિમાલયથી પણ ઊંચા પર્વતમાં ફેરવાઇ ગયો છે. આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે નવાઝ શરીફ અમેરિકા યાત્રા પર જવા માટે બેગ પેકિંગ કરી રહ્યા હશે અને છપાશે ત્યારે પરત પણ આવી ગયા હશે. 'વોશિંગ્ટન પોસ્ટ'ઔમાં ડેવિડ ઇન્ગેટ્સ નામના કોલમિસ્ટે લખ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે ભારત જેવો જ પરમાણું કરાર કરી શકે છે. અહેવાલ પ્રકાશિત થયા પછી ભારત અને વિશ્વ મિડિયામાં ઘણા પડઘા પડયા, મત-મતાંતર થયા અને ચર્ચાઓ ચાલી, વિરોધ થયો. આખરે વાઇટ હાઉસે ચોખવટ પાડી કે તે પાકિસ્તાન સાથે નાગરિક પરમાણું કરાર કરવાનું નથી.

બે રાજ્યના વડા વચ્ચેની વાતચીતનું ગ્રાઉન્ડ વધુ મજબૂત અને મુદ્દાસર બને એ માટે કેટલીક વખત જાણી જોઇને મિડિયામાં કેટલાક અસંગત ન્યૂઝ રાજસત્તા દ્વારા જ ફેલાવવામાં આવતા હોય છે. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકટ થયેલો રીપોર્ટ પણ આવો જ કોઇક પ્રયત્ન હોય એવું લાગ્યું.

અત્યારે વિશ્વ જે રીતે વહેચાયેલું છે એ જોતા અમેરિકા માટે ભારતનું ભૌગોલિક રાજકીય મહત્ત્વ ઘણું ઝાઝું છે. આથી અમેરિકા પાકિસ્તાનને પરમાણુ ક્ષેત્રે મજબૂતી બક્ષે એ વાતમાં દમ નથી. થોડા દિવસો પહેલા જ મલબારના અખાતમાં ભારત-પાકિસ્તાન-જપાન વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત હાથ ધરવામાં આવી હતી. ચીનને દેખાડવા માટે જ તો...

પાકિસ્તાનના પરમાણું કાર્યક્રમ પર અંકુશ મૂકવામાં આવે એ ખુબ જ આવશ્યક છે. પાકિસ્તાન તાલિબાન છાશવારે હુમલા કરતા રહે છે અને અફઘાન તાલિબાન તો પોતાનું ઘર સમજીને જ આવરો-જાવરો રાખે છે. એવામાં જો પરમાણુ શસ્ત્રો અથવા નાના-મોટા કોઇપણ અસ્ત્રો-શસ્ત્રો - હથિયારો આતંકીઓના હાથમાં જતા રહે તો ભારત સહિત અનેક દેશો માટે ભયસૂચક બની શકે છે.

પાકિસ્તાનના વિજ્ઞાની એ. ક્યુ. ખાન લિબિયા, ઉત્તર કોરિયા અને ઇરાનને પરમાણુ હથિયારો વિકસાવવા માટેના સાધનો કાળા બજારમાં વેચતા હતા. આ પ્રકારના ખુફિયા કારનામા પરમાણુ શસ્ત્રોની બાબતમાં પાકિસ્તાનમાં ચાલે એ હવે કોઇ હિસાબે પોસાઇ  શકે નહીં. પાકને પરમાણુ પરીક્ષણ કરતું અટકાવવા અમેરિકા શરીફ પાસે સીટીબીટી (કોમ્પ્રિહેન્સીવ ટેસ્ટ બીન ટ્રીટ) અને યુરેનિયમ જેવા તત્ત્વોનું સ્ટોરેજ ઘટાડવા ફિસાઇલ મટીરીયલ કટ ઓફ ટ્રીટી( એફએમસીટી) પર સહી લેવડાવે જરૃરી છે. નો ફર્સ્ટ યુઝ ટ્રીટી પર પણ...

ભારતે અમેરિકા સાથે કરેલા પરમાણુ કરાર અંતર્ગત ભારતે તેના નાગરિક પરમાણુ મથકો અને લશ્કરી પરમાણુ કેન્દ્રો છુટાં પાડયાં છે. અને સિવિલ ન્યુક્લિઅર ફેસિલિટિઝ આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ હેઠળ છે. શું પાકિસ્તાન આવી શરતો માટે તૈયાર થઇ શકે ખરા ? કરાચીમાં ચીન ૯.૬ અબજ ડોલર (અંદાજે રૃ. ૬૦૦ અબજ)ના ખર્ચે પરમાણુ શક્તિ સંકુલ (ન્યુક્લિઅર પાવર કોમ્પ્લેક્સ) બનાવી રહ્યું છે. નવાઝ શરીફ પોતે તેના શિલાન્યાસમાં હાજર રહ્યા હતા. આ મુદ્દો ધ્યાનબારો કઇ રીતે રહે...?

મોદીના વાદે વાદે નવાઝ શરીફે પણ વિકાસનું મહોરું પહેર્યું છે એ પાકિસ્તાનનો અસલ ચહેરો બને એમ ભારત પણ ઇચ્છે છે. પરંતુ અત્યારે તો પાકિસ્તાનનો ખરો ચહેરો લશ્કરી વડા રાહીલ શરીફ છે. જેઓ પરમાણુ શસ્ત્રાગાર પર કાતર ફેરવવાની કે તેને આંતરરાષ્ટ્રીય નજર તળે મૂકવાની શરાફત દેખાડી શકે એમ નથી.

વૈશ્વિક હાઇલાઇટ્સ...
- એબિગલી વિલ્સન અને ડેવિડ જેકીન્સ નામનું દંપતી તેના ત્રણ વર્ષના બાળક જેકબ જેકિન્સ સાથે પીઝા પાર્લરમાં જમવા ગયું હતું. તેઓ ડીનર કરી રહ્યા હતા ત્યારે પીઝામાં રહેલી દ્રાક્ષ બાળકની શ્વાસ નળીમાં ફસાઇ જતા શ્વાસ રૃંધાવાને લીધે તે કોમામાં સરી ગયું અને થોડા કલાકો પછી મૃત્યુ પામ્યું હતું. આ ઘટના વિશે જાણ થયા બાદ સોશિયલ મિડિયા પર અપીલ કરાતા હજારો લોકોએ સાંજે સાત વાગ્યે પીળા રંગના હજારો ફુગ્ગા આકાશમાં વહેતા મૂકી શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.

- વેનેઝુએલાના જેસન રોડ્રીગ્વીઝે જગતના સૌથી મોટા પંજા ધરાવવા બદલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. આને ખરેખર વિરાટ પગલું કહી શકાય. આ યુવાનના પેગડામાં પગ નાખવાનું અસંભવ છે. ૭ ફુટ ૩ ઇંચના રોડ્રીગના જમણા પગના પંજાની લંબાઇ ૪૦.૧ સેમી એટલે કે ૧ ફુટ અને ૩.૭ ઇંચ છે. ડાબા પગના તળિયાની લંબાઇ ૩૭.૬ સેમી એટલે કે એક ફુટ ૩૯.૬ સેમી એલે કે ૧ ફુટ ૩.૫૯ ઇંચ છે. તેને ૩૨ નંબરના બૂટ પહેરવા પડે છે.

- પશ્ચિમના કેટલાક અલ્પમતિ ધનાઢ્યો આજે પણ નિર્દોષ પ્રાણીઓના શિકારનો રજવાડી અને તામસિક શોખ ધરાવે છે. થોડા સમય પહેલા અમેરિકાના એક ડેન્ટીસ્ટે ઝિમ્બાબ્વેમાં સેસિલ નામના સાવજનો શિકાર કરતા આખા વિશ્વમાં હોબાળો મચ્યો હતો. આ ઘટના હજી તાજી જ છે ત્યાં આફ્રિકાના સૌથી મોટા હાથીનો શિકાર થયો છે. જર્મનીના એક પ્રવાસીએ ૬૦,૦૦૦ ડોલર રૃ. ૪૦ લાખ ચૂકવીને કદાવર હાથીનો શિકાર કર્યો છે. જો કે અગાઉની જેમ આ વખતે પણ હત્યારો બહુ જ સરળતાથી બચી નીકળ્યો છે. આ હાથીના દાંત એટલા મોટા હતા કે તે જમીન પર ઘસાતા હતા. તેના દંતનુ વજન ૬૦ કિલો હતું.

- અમેરિકામાં થોમસ ડી પેન્ટ્રીલો નામના યુવાને છેલ્લા બે વર્ષમાં ૧૬૦૦ કલાકની મહેનત કરીને કાલ્પનિક પાત્ર હલ્કનુ કોસ્ચ્યુમ તૈયાર કર્યું છે. આ કોસ્ચ્યુમની ઊંચાઇ ૯.૫ ફુટ અને પહોળાઇ ૬.૬ ફુટ છે. તે ૪૪ યાને કે સાડા ત્રણ ફુટ જાડું છે અને તેનું વજન ૪૫ કિલો છે. તે પહેરવામાં જ ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે. થોમસ છેલ્લા ૨૧ વર્ષથી કોસ્ચ્યુમ્સ બનાવવાનુ કામ કરે છે.


શુક્રવાર, 23 ઑક્ટોબર, 2015

જાગતે રહો


અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

એવું તે શું થયું કે નેપાળમાં માઓવાદીઓ બળવાખોરી પ્રવૃત્તિ છોડી દઇને લોકતંત્રની મુખ્યા ધારામાં આવી ગયા એ અભ્યાસનો વિષય છે
સમુદ્રથી ત્રણે બાજુ ઘેરાવાથી ભારતને જેટલો ફાયદો છે એટલું જ નુકસાન ત્રણે બાજુએ ચીનાથી ઘેરાવામાં છે


હજારો વર્ષો પહેલા 'ને' નામના ઋષિ હિમાલયમાંથી આવીને બાગમતી નદીના કિનારે સ્થાયી થયા હતા. આ ભૂમિ પર તેમણે  કઠોર તપ કર્યું અને વખત જતા એ જગ્યા 'નેપાળ' નામે જાણીતી બની. 'ને' એટલે ને નામના ઋષિ અને 'પાળ' એટલે રક્ષણ કરવું. રક્ષક અને સંત તરીકેની તેમની ગાથા પશુપતિ પુરાણમાં પણ ગાવામાં આવી છે. ઇસ પૂર્વે ત્રીજી સદીમાં થઇ ગયેલા ચાણક્યે લખેલ અર્થશાસ્ત્રમાં પણ નેપાળનો ઉલ્લેખ કરેલો છે. સ્કંદ પુરાણમાં નેપાળ મહાત્મ્ય શીર્ષકવાળું એક આખું પ્રકરણ છે, જેમાં નેપાળના સૌંદર્ય અને શક્તિનો મહિમા વર્ણવાયો છે. મિથિલા નરેશ જનક અને લુમ્બિનિના રાજકુમાર સિદ્ધાર્થની કથા આપણા ઘરોમાં પેઢીઓથી કંઠોપકંઠ વહેતી આવી છે. તિબેટ આ દેશને 'નેપા' કહે છે. તિબ્બતી ભાષામાં 'ને' એટલે મધ્યમાં આવેલો અને 'પા' એટલે દેશ. ભારત અને તિબેટ વચ્ચે આવેલો દેશ એટલે નેપા. જેનો એક અર્થ લેન્ડલોક્ડ અથવા બફર રાજ્ય થાય.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનેઝીર ભુટ્ટોએ થોડા વર્ષો પહેલા એક પત્રકાર સાથેની વાતચીત દરમિયાન ભાખ્યું હતું કે નેપાળ અફઘાનિસ્તાનના રસ્તે જઇ રહ્યું છે. દિવંગત બેનેઝીરના શબ્દો સાચા હોય એવું લાગી રહ્યું છે. મીઠાઇ ખાધા પછી ચ્હાની મીઠાશ અનુભવાતી નથી. તેમ હિન્દુત્વના રંગે રંગાયેલી એનડીએ સરકાર નેપાળનું ભૌગોલિક-રાજકીય મહત્ત્વ સમજવાને બદલે તેના પર 'હિન્દુ રાષ્ટ્ર'નું લેબલ જળવાયેલું રહે તેની આંધળી કવાયત કરી રહી છે. ચીન તિબેટને ગળી ગયું ત્યારે ભારતે નેપાળને અભય વચન આપ્યું હતું. આજે પરિસ્થિતિ ૧૮૦ ડીગ્રીએ આવીને ઊભી છે. ભારતે નેપાળનું નાક દબાવ્યું છે અને ચીન તેને મ્હોં વડે શ્વાસ લેવડાવી રહ્યું છે.
૧૯૮૯માં પાકિસ્તાન ખાતે સાર્ક શિખર સંમેલનમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેપાળના રાજા બિરેન્દ્રને  બ્રેકફાસ્ટ માટે નિમંત્રણ આપ્યું હતું ત્યારે બિરેન્દ્રે નકાર ભણી દેતા રાજીવે નેપાળ અને ભારત વચ્ચે ૨૨માંથી ૨૦ એન્ટ્રી પોઇન્ટ પર બંધ કરી દીધા હતા કિંતુ હાલ આવું કરવું બુદ્ધિગમ્ય નથી. એ વખતે નેપાળમાં રાજાશાહી હતી અને અત્યારે લોકશાહીનું પહેલું પાનું લખાઈ ચૂક્યું છે અને હવે તેની પાસે ખોળામાં બેસવા માટે 'ડ્રેગન' વિકલ્પ છે.

નેપાળની ૮૨ ટકા પ્રજા હિન્દુ છે અને બંધારણીય સભામાં ૮૫ ટકા સદસ્યોએ મળીને નેપાળને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કર્યું છે, જેમાં ચંચુપાત કરવો એ ધર્મપ્રેમને રાષ્ટ્રપ્રેમ કરતા પણ વધારે મૂલવવાની મૂર્ખામી છે. બંધારણમાં અધિકાર મામલે મધેસી અને થારુ જન સમુદાયના લોકો દેખાવ કરે તો તેમ કરવાનો તેમને બેશક હક છે અને વિરોધીઓનો પ્રશ્ન ઉકેલવાની જવાબદારી નેપાળની નેતાગીરીના ખભે આવે એ જ લોકતંત્રની દ્રષ્ટિએ હિતાવહ છે.

મધેસી સમુદાયમાં મૈથીલી, ભોજપુરી, અવધી, હિન્દી અને ઉર્દૂભાષીઓનો સમાવેશ થાય છે. થારુ જનસમુદાય ભારતમાં બિહારમાં પણ વસવાટ કરે છે. ધર્મેથી ભલે હિન્દુ હોય પરંતુ પહાડ પર રહેતા લિંબુ, ખાંબુ, મગર, ગુંરાંગ અને તવાંગ સમુદાયો મોંગોલિયન મૂળના છે. જેનો અંદાજ ભારતમાં નોકરી કરતા ૫૬ લાખ નેપાળીઓના નાક-નક્શા જોતા પણ આવી જાય છે. ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસની આંખે નેપાળ આપણી સાથે જોડાયેલું છે એ ખરું પરંતુ નેપાળ એટલે માત્ર ભારત નથી. ત્યાં મોંગોલિયન વંશીઓ બહુમતિમાં છે.

પહાડી વિસ્તારમાં વસતા નેપાળી સમુદાયોમાં હિન્દુ ધર્મના બહુન અને છેત્રી (બ્રાહ્મણ અને ક્ષત્રિય) જ્ઞાતિના લોકો એલિટ વર્ગમાં આવે છે. રાજનીતિમાં પહેલેથી તેમનુ પ્રભુત્વ રહ્યું છે. મધેસી અને થારુ આમ જોઇએ તો પછાત વર્ગમાં છે અને તેમનું નેપાળમાં સૈકાઓથી શોષણ થતું આવ્યું છે. મધેસી જાતિના લોકોને ૧૯૫૦માં કાઠમાંડુ આવવા માટે પણ સ્પેશ્યલ પરમીટ મેળવવી પડતી હતી.
છેક ૧૯૯૦માં તેમને નાગરિકત્વ આપવામાં આવ્યું. આજેય તેમને વિદેશી મૂળના કહીને સત્તાથી આઘા રાખવામાં આવે છે. અલબત્ત આ ખોટું છે, પણ જનતાતંત્ર બનવા માટે પા...પા... પગલી કરતા નેપાળને આ સમસ્યા જાતે જ હલ કરવા દેવી પડે. માનો કે ભારતના હસ્તક્ષેપથી મધેસી અને થારુ આવામને સંવિધાનમાં જોઇતા તમામ હક આપી દેવામાં આવે તો પણ બાબા આમ્બેડકરનું અવતરણ યાદ કરવું પડે, 'જ્યાં સુધી સમાજ ન ઇચ્છે ત્યાં સુધી કોઇપણ કાયદો પછાત વર્ગને આગળ લાવી શકતો નથી.'

રાજાશાહીના અસ્તાચળે નેપાળમાં માઓવાદે માથુ ઊંચક્યું હતું અને ૨૦૦૬માં તેનો અંત આવતા નેપાળે લોકશાહી દેશ બનવા કૂચ કરી એ જ આપણા માટે મોટી વાત છે. માઓવાદીઓ આજે બંધારણીય સભામાં સદસ્ય બનીને લોકતાંત્રીક રાજનીતિમાં આવી ગયા એ નેપાળની એક સૌથી મોટી સિદ્ધિ છે. એવું તે શું થયું કે માઓવાદીઓ બંડખોરી મૂકી અને રાજનીતિની મુખ્યધારા સાથે જોડાઇ ગયા એ વિશે મોટાભાઇ તરીકેનો અહમ એકનોરો મૂકીને ભારતે અભ્યાસ કરવો જોઇએ, જેથી ભારતમાં માઓવાદી બળવાખોરી નાબૂદ કરી શકાય.

ભારતમાતાના ચરણ પાસે બેઠેલું શ્રીલંકા ભારતની વિદેશનીતિની ક્ષતિઓને લીધે આજે ચીન તરફ સરકી ગયું છે. પાકિસ્તાન તો પહેલેથી જ ભારત વિરોધી હતું એવામાં નેપાળ સાથેનો સંબંધ ગુમાવવો ભારતને પરવડે તેમ નથી. ત્રણે કોર સમુદ્રથી ઘેરાયેલા હોવાને કારણે ભારતને જેટલો ફાયદો થયો છે એટલું જ નુકસાન ત્રણ બાજુ ચીનની ઘેરાવાને લીધે થઇ શકે છે. કે.પી.એસ. ઓલી નવા વડા પ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. આશા રાખીએ કે ભારત-નેપાળ વચ્ચેનો ખટરાગ ભૂલાઇ જશે અને ડાંગે માર્યા પાણી નોખા નહીં થાય. ૭ આરસીઆર અથવા પીએમઓમાં બેસીને મોડી રાત્રે વડા પ્રધાન મોદી અને વિદેશ સચિવ જયશંકર નેપાળ નીતિ ચર્ચતા હોય ત્યારે સડક પરથી 'જાગતે રહો'ની બૂમ સંભળાય એ આવશ્યક છે.


વૈશ્વિક હાઇલાઇટ્સ...
અવકાશયાત્રીઓને તો ક્યારેક ને ક્યારેક અવકાશમાં આંટો મારવાની તક મળવાની છે પણ આપણા જેવા સામાન્ય માણસોનો વારો ક્યારે આવે ? આ બાબતને ધ્યાનમાં રાખીને સિંગાપોરથી માંડીને સ્વિત્ઝરલેન્ડ સુધી વિશ્વના અનેક શહેરોમાં એકથી એક હોટલો અવકાશની થીમ પર બનાવવામાં આવી છે. ઝ્યુરીકમાં કામીહા ગ્રાન્ડ નામની હોટલમાં ઇન્ટનેશનલ સ્પેસ સ્ટેશનમાં હોય એવો સ્પેસ સ્યુટ બનાવવામાં આવ્યો છે. જર્મન કલાકાર માઇકલ નજ્જર દ્વારા તેની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરાવતો પલંગ છે. અવકાશ જમીન પર...

- સાઉથ આફ્રિકાના ગોટ ટેલેન્ટ શોમાં માત્ર ત્રણ વર્ષના બાળકે ડીજે તરીકે ઓડીશન આપ્યું હતું. તેનું પર્ફોર્મન્સ સાંભળીને બધા જ દંગ થઇ ગયા હતા અને નિર્ણાયકોએ ગોલ્ડન બઝર દબાવીને તેને સેમિફાઇલમાં એન્ટ્રી આપી દીધી હતી. ડીજે આર્ક જુનિયર ફક્ત એક જ વર્ષનો હતો ત્યારે તેને ડી જીંગ નામની એપ્લિકેશનનો પરિચય કરાવવામાં આવતા તેને ડીજે મ્યુુઝિકમાં ખૂબ જ રસ પડયો હતો.

- ડેન્માર્કમાં બે જોડકા ભાઇઓએ દુનિયાનો સૌથી મૂર્ખામી ભરેલો સ્ટન્ટ કર્યો હતો. તેઓ વિશ્વના સૌથી તીખા ૧૩૦ મરચાનો જ્યુસ પી ગયા હતા અને એ પણ માત્ર ૭૫ ડોલરની શરત જીતવા માટે... કેરોલીના રીપર વિશ્વનું સૌથી તીખામાં તીખું મરચું છે. તેની તીખાશનું માપ ૨૨ લાખ સ્કોવિલી છે. ૧૯૧૨માં વિલ્બર સ્કોવિલીએ આ એકમ શોધી કાઢ્યો હતો. સામાન્ય મરચાની તીખાશ ૫૦૦૦ સ્કોવીલીની હોય છે. જ્યારે આ બંને ભાઇઓએ જે મરચું ખાધુ તેની તીખાશ ૨૨ લાખ સ્કોવિલી હતી.

- સાહસ એ તમામ સદ્દગુણોનો રાજા છે. રશિયાના એક યુવાને આ કહેવતને સાર્થક કરી બતાવી છે. એલેક્સી કુઝીન નામના યુવાને ૧૫૬ મીટર ઊંચી ઇમારત પરથી માત્ર એક પાઇપ પર ચત્તાપાટ સુઇ બતાવ્યું હતું. એક તો ઊંચાઇનો ભય અને તેમાંય આટલી પાતળી પાઇપ પર શરીરનું સંતુલન જાળવવાનું કામ ખૂબજ અઘરું છે. આવા સાહસવીરો માટે જ અંગ્રેજીમાં 'ડેરડેવિલ' શબ્દ વપરાય છે.

- થોડા દિવસો પહેલા મેટ ડેમોનની ફિલ્મ આવી હતી, જેનું નામ ધતું ધ માર્શિયન... આ સાયન્સ ફિક્શનમાં માણસને મંગળ પર પહોંચતો દેખાડવામાં આવ્યો છે, પરંતુ આજનું ફિક્શન આવતીકાલની હકીકત બને એ ન્યાયે નાસાએ માણસને મંગળ ઉપર સ્થાયી કરવાનું સપનું સાકાર કરવાની પણ એષણા કરી છે. આ માટે નાસાએ પ્રોજેક્ટ શરૃ કર્યો છે જેનું નામ 'નાસાની મંગળયાત્રાઃ અવકાશ સંશોધનનો નવો જન્મ આપનારું પગલું'