શુક્રવાર, 23 ઑક્ટોબર, 2015

જાગતે રહો


અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

એવું તે શું થયું કે નેપાળમાં માઓવાદીઓ બળવાખોરી પ્રવૃત્તિ છોડી દઇને લોકતંત્રની મુખ્યા ધારામાં આવી ગયા એ અભ્યાસનો વિષય છે
સમુદ્રથી ત્રણે બાજુ ઘેરાવાથી ભારતને જેટલો ફાયદો છે એટલું જ નુકસાન ત્રણે બાજુએ ચીનાથી ઘેરાવામાં છે


હજારો વર્ષો પહેલા 'ને' નામના ઋષિ હિમાલયમાંથી આવીને બાગમતી નદીના કિનારે સ્થાયી થયા હતા. આ ભૂમિ પર તેમણે  કઠોર તપ કર્યું અને વખત જતા એ જગ્યા 'નેપાળ' નામે જાણીતી બની. 'ને' એટલે ને નામના ઋષિ અને 'પાળ' એટલે રક્ષણ કરવું. રક્ષક અને સંત તરીકેની તેમની ગાથા પશુપતિ પુરાણમાં પણ ગાવામાં આવી છે. ઇસ પૂર્વે ત્રીજી સદીમાં થઇ ગયેલા ચાણક્યે લખેલ અર્થશાસ્ત્રમાં પણ નેપાળનો ઉલ્લેખ કરેલો છે. સ્કંદ પુરાણમાં નેપાળ મહાત્મ્ય શીર્ષકવાળું એક આખું પ્રકરણ છે, જેમાં નેપાળના સૌંદર્ય અને શક્તિનો મહિમા વર્ણવાયો છે. મિથિલા નરેશ જનક અને લુમ્બિનિના રાજકુમાર સિદ્ધાર્થની કથા આપણા ઘરોમાં પેઢીઓથી કંઠોપકંઠ વહેતી આવી છે. તિબેટ આ દેશને 'નેપા' કહે છે. તિબ્બતી ભાષામાં 'ને' એટલે મધ્યમાં આવેલો અને 'પા' એટલે દેશ. ભારત અને તિબેટ વચ્ચે આવેલો દેશ એટલે નેપા. જેનો એક અર્થ લેન્ડલોક્ડ અથવા બફર રાજ્ય થાય.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનેઝીર ભુટ્ટોએ થોડા વર્ષો પહેલા એક પત્રકાર સાથેની વાતચીત દરમિયાન ભાખ્યું હતું કે નેપાળ અફઘાનિસ્તાનના રસ્તે જઇ રહ્યું છે. દિવંગત બેનેઝીરના શબ્દો સાચા હોય એવું લાગી રહ્યું છે. મીઠાઇ ખાધા પછી ચ્હાની મીઠાશ અનુભવાતી નથી. તેમ હિન્દુત્વના રંગે રંગાયેલી એનડીએ સરકાર નેપાળનું ભૌગોલિક-રાજકીય મહત્ત્વ સમજવાને બદલે તેના પર 'હિન્દુ રાષ્ટ્ર'નું લેબલ જળવાયેલું રહે તેની આંધળી કવાયત કરી રહી છે. ચીન તિબેટને ગળી ગયું ત્યારે ભારતે નેપાળને અભય વચન આપ્યું હતું. આજે પરિસ્થિતિ ૧૮૦ ડીગ્રીએ આવીને ઊભી છે. ભારતે નેપાળનું નાક દબાવ્યું છે અને ચીન તેને મ્હોં વડે શ્વાસ લેવડાવી રહ્યું છે.
૧૯૮૯માં પાકિસ્તાન ખાતે સાર્ક શિખર સંમેલનમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેપાળના રાજા બિરેન્દ્રને  બ્રેકફાસ્ટ માટે નિમંત્રણ આપ્યું હતું ત્યારે બિરેન્દ્રે નકાર ભણી દેતા રાજીવે નેપાળ અને ભારત વચ્ચે ૨૨માંથી ૨૦ એન્ટ્રી પોઇન્ટ પર બંધ કરી દીધા હતા કિંતુ હાલ આવું કરવું બુદ્ધિગમ્ય નથી. એ વખતે નેપાળમાં રાજાશાહી હતી અને અત્યારે લોકશાહીનું પહેલું પાનું લખાઈ ચૂક્યું છે અને હવે તેની પાસે ખોળામાં બેસવા માટે 'ડ્રેગન' વિકલ્પ છે.

નેપાળની ૮૨ ટકા પ્રજા હિન્દુ છે અને બંધારણીય સભામાં ૮૫ ટકા સદસ્યોએ મળીને નેપાળને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કર્યું છે, જેમાં ચંચુપાત કરવો એ ધર્મપ્રેમને રાષ્ટ્રપ્રેમ કરતા પણ વધારે મૂલવવાની મૂર્ખામી છે. બંધારણમાં અધિકાર મામલે મધેસી અને થારુ જન સમુદાયના લોકો દેખાવ કરે તો તેમ કરવાનો તેમને બેશક હક છે અને વિરોધીઓનો પ્રશ્ન ઉકેલવાની જવાબદારી નેપાળની નેતાગીરીના ખભે આવે એ જ લોકતંત્રની દ્રષ્ટિએ હિતાવહ છે.

મધેસી સમુદાયમાં મૈથીલી, ભોજપુરી, અવધી, હિન્દી અને ઉર્દૂભાષીઓનો સમાવેશ થાય છે. થારુ જનસમુદાય ભારતમાં બિહારમાં પણ વસવાટ કરે છે. ધર્મેથી ભલે હિન્દુ હોય પરંતુ પહાડ પર રહેતા લિંબુ, ખાંબુ, મગર, ગુંરાંગ અને તવાંગ સમુદાયો મોંગોલિયન મૂળના છે. જેનો અંદાજ ભારતમાં નોકરી કરતા ૫૬ લાખ નેપાળીઓના નાક-નક્શા જોતા પણ આવી જાય છે. ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસની આંખે નેપાળ આપણી સાથે જોડાયેલું છે એ ખરું પરંતુ નેપાળ એટલે માત્ર ભારત નથી. ત્યાં મોંગોલિયન વંશીઓ બહુમતિમાં છે.

પહાડી વિસ્તારમાં વસતા નેપાળી સમુદાયોમાં હિન્દુ ધર્મના બહુન અને છેત્રી (બ્રાહ્મણ અને ક્ષત્રિય) જ્ઞાતિના લોકો એલિટ વર્ગમાં આવે છે. રાજનીતિમાં પહેલેથી તેમનુ પ્રભુત્વ રહ્યું છે. મધેસી અને થારુ આમ જોઇએ તો પછાત વર્ગમાં છે અને તેમનું નેપાળમાં સૈકાઓથી શોષણ થતું આવ્યું છે. મધેસી જાતિના લોકોને ૧૯૫૦માં કાઠમાંડુ આવવા માટે પણ સ્પેશ્યલ પરમીટ મેળવવી પડતી હતી.
છેક ૧૯૯૦માં તેમને નાગરિકત્વ આપવામાં આવ્યું. આજેય તેમને વિદેશી મૂળના કહીને સત્તાથી આઘા રાખવામાં આવે છે. અલબત્ત આ ખોટું છે, પણ જનતાતંત્ર બનવા માટે પા...પા... પગલી કરતા નેપાળને આ સમસ્યા જાતે જ હલ કરવા દેવી પડે. માનો કે ભારતના હસ્તક્ષેપથી મધેસી અને થારુ આવામને સંવિધાનમાં જોઇતા તમામ હક આપી દેવામાં આવે તો પણ બાબા આમ્બેડકરનું અવતરણ યાદ કરવું પડે, 'જ્યાં સુધી સમાજ ન ઇચ્છે ત્યાં સુધી કોઇપણ કાયદો પછાત વર્ગને આગળ લાવી શકતો નથી.'

રાજાશાહીના અસ્તાચળે નેપાળમાં માઓવાદે માથુ ઊંચક્યું હતું અને ૨૦૦૬માં તેનો અંત આવતા નેપાળે લોકશાહી દેશ બનવા કૂચ કરી એ જ આપણા માટે મોટી વાત છે. માઓવાદીઓ આજે બંધારણીય સભામાં સદસ્ય બનીને લોકતાંત્રીક રાજનીતિમાં આવી ગયા એ નેપાળની એક સૌથી મોટી સિદ્ધિ છે. એવું તે શું થયું કે માઓવાદીઓ બંડખોરી મૂકી અને રાજનીતિની મુખ્યધારા સાથે જોડાઇ ગયા એ વિશે મોટાભાઇ તરીકેનો અહમ એકનોરો મૂકીને ભારતે અભ્યાસ કરવો જોઇએ, જેથી ભારતમાં માઓવાદી બળવાખોરી નાબૂદ કરી શકાય.

ભારતમાતાના ચરણ પાસે બેઠેલું શ્રીલંકા ભારતની વિદેશનીતિની ક્ષતિઓને લીધે આજે ચીન તરફ સરકી ગયું છે. પાકિસ્તાન તો પહેલેથી જ ભારત વિરોધી હતું એવામાં નેપાળ સાથેનો સંબંધ ગુમાવવો ભારતને પરવડે તેમ નથી. ત્રણે કોર સમુદ્રથી ઘેરાયેલા હોવાને કારણે ભારતને જેટલો ફાયદો થયો છે એટલું જ નુકસાન ત્રણ બાજુ ચીનની ઘેરાવાને લીધે થઇ શકે છે. કે.પી.એસ. ઓલી નવા વડા પ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. આશા રાખીએ કે ભારત-નેપાળ વચ્ચેનો ખટરાગ ભૂલાઇ જશે અને ડાંગે માર્યા પાણી નોખા નહીં થાય. ૭ આરસીઆર અથવા પીએમઓમાં બેસીને મોડી રાત્રે વડા પ્રધાન મોદી અને વિદેશ સચિવ જયશંકર નેપાળ નીતિ ચર્ચતા હોય ત્યારે સડક પરથી 'જાગતે રહો'ની બૂમ સંભળાય એ આવશ્યક છે.


વૈશ્વિક હાઇલાઇટ્સ...
અવકાશયાત્રીઓને તો ક્યારેક ને ક્યારેક અવકાશમાં આંટો મારવાની તક મળવાની છે પણ આપણા જેવા સામાન્ય માણસોનો વારો ક્યારે આવે ? આ બાબતને ધ્યાનમાં રાખીને સિંગાપોરથી માંડીને સ્વિત્ઝરલેન્ડ સુધી વિશ્વના અનેક શહેરોમાં એકથી એક હોટલો અવકાશની થીમ પર બનાવવામાં આવી છે. ઝ્યુરીકમાં કામીહા ગ્રાન્ડ નામની હોટલમાં ઇન્ટનેશનલ સ્પેસ સ્ટેશનમાં હોય એવો સ્પેસ સ્યુટ બનાવવામાં આવ્યો છે. જર્મન કલાકાર માઇકલ નજ્જર દ્વારા તેની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરાવતો પલંગ છે. અવકાશ જમીન પર...

- સાઉથ આફ્રિકાના ગોટ ટેલેન્ટ શોમાં માત્ર ત્રણ વર્ષના બાળકે ડીજે તરીકે ઓડીશન આપ્યું હતું. તેનું પર્ફોર્મન્સ સાંભળીને બધા જ દંગ થઇ ગયા હતા અને નિર્ણાયકોએ ગોલ્ડન બઝર દબાવીને તેને સેમિફાઇલમાં એન્ટ્રી આપી દીધી હતી. ડીજે આર્ક જુનિયર ફક્ત એક જ વર્ષનો હતો ત્યારે તેને ડી જીંગ નામની એપ્લિકેશનનો પરિચય કરાવવામાં આવતા તેને ડીજે મ્યુુઝિકમાં ખૂબ જ રસ પડયો હતો.

- ડેન્માર્કમાં બે જોડકા ભાઇઓએ દુનિયાનો સૌથી મૂર્ખામી ભરેલો સ્ટન્ટ કર્યો હતો. તેઓ વિશ્વના સૌથી તીખા ૧૩૦ મરચાનો જ્યુસ પી ગયા હતા અને એ પણ માત્ર ૭૫ ડોલરની શરત જીતવા માટે... કેરોલીના રીપર વિશ્વનું સૌથી તીખામાં તીખું મરચું છે. તેની તીખાશનું માપ ૨૨ લાખ સ્કોવિલી છે. ૧૯૧૨માં વિલ્બર સ્કોવિલીએ આ એકમ શોધી કાઢ્યો હતો. સામાન્ય મરચાની તીખાશ ૫૦૦૦ સ્કોવીલીની હોય છે. જ્યારે આ બંને ભાઇઓએ જે મરચું ખાધુ તેની તીખાશ ૨૨ લાખ સ્કોવિલી હતી.

- સાહસ એ તમામ સદ્દગુણોનો રાજા છે. રશિયાના એક યુવાને આ કહેવતને સાર્થક કરી બતાવી છે. એલેક્સી કુઝીન નામના યુવાને ૧૫૬ મીટર ઊંચી ઇમારત પરથી માત્ર એક પાઇપ પર ચત્તાપાટ સુઇ બતાવ્યું હતું. એક તો ઊંચાઇનો ભય અને તેમાંય આટલી પાતળી પાઇપ પર શરીરનું સંતુલન જાળવવાનું કામ ખૂબજ અઘરું છે. આવા સાહસવીરો માટે જ અંગ્રેજીમાં 'ડેરડેવિલ' શબ્દ વપરાય છે.

- થોડા દિવસો પહેલા મેટ ડેમોનની ફિલ્મ આવી હતી, જેનું નામ ધતું ધ માર્શિયન... આ સાયન્સ ફિક્શનમાં માણસને મંગળ પર પહોંચતો દેખાડવામાં આવ્યો છે, પરંતુ આજનું ફિક્શન આવતીકાલની હકીકત બને એ ન્યાયે નાસાએ માણસને મંગળ ઉપર સ્થાયી કરવાનું સપનું સાકાર કરવાની પણ એષણા કરી છે. આ માટે નાસાએ પ્રોજેક્ટ શરૃ કર્યો છે જેનું નામ 'નાસાની મંગળયાત્રાઃ અવકાશ સંશોધનનો નવો જન્મ આપનારું પગલું'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો